એર પોલ્યુશનથી રાજ્યમાં COPDના કેસોમાં 30% વધારો

By: Nation Gujarat Team
29 Nov, 2025

અમદાવાદ સહિત ગુજરાતના શહેરોમાં વધતા જતા એર પોલ્યુશનની સીધી અસર હવે ફેફસાં પર પડી રહી છે. કોવિડ પછીના માત્ર ત્રણ-ચાર વર્ષમાં ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિસીઝ (COPD)ના કેસોમાં 30 ટકા જેટલો ભયજનક વધારો નોંધાયો છે અને ચોંકાવનારી વાત એ છે કે, આ બીમારી હવે ધુમ્રપાન ન કરનારા યુવાનોને પણ શિકાર બનાવી રહી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) મુજબ COPD વિશ્વમાં મોતનું ત્રીજું અને ભારતમાં બીજું સૌથી મોટા કારણ તરીકે નોંધાયું છે. COPDના વધતા જોખમ વચ્ચે શિયાળાની શરૂઆત સાથે ડોક્ટરોએ ગંભીર ચેતવણી આપી છે કે, ફેફસાંનું સ્વાસ્થ્ય હવે અવગણી શકાય તેમ નથી.

ધુમ્રપાન ન કરનારા લોકોમાં પણ આ બીમારી વધી રહી છે શહેરના પલ્મોનોલોજિસ્ટ્સનું કહેવું છે કે ,કોવિડ પછીના છેલ્લા કેટલાક વર્ષોમાં COPDના કેસોમાં લગભગ 30 ટકા વધારો જોવા મળ્યો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) મુજબ COPD હવે વિશ્વમાં મૃત્યુના ત્રીજા સૌથી મોટા કારણ તરીકે નોંધાયું છે. જ્યારે ભારતના ગૃહ મંત્રાલયના 2021-2023 ના સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમ (SRS) બુલેટિન પ્રમાણે દેશમાં COPDથી થતું મોત બીજું સૌથી મોટું કારણ છે. ખાસ વાત એ છે કે, ધુમ્રપાન ન કરતા અને યુવાન લોકોમાં પણ આ બીમારી વધી રહી છે, જેના પાછળ મુખ્ય કારણ એર પોલ્યુશન છે.

સમયસર પીએફટી કરાવીએ તો COPD ને વહેલી તકે શોધી શકાય અમદાવાદની સિનિયર પલ્મોનોલોજિસ્ટ અને ઇન્ટરનેશનલ સ્લીપ સ્પેશિયાલિસ્ટ ડૉ. કાશ્મીરા ઝાલા કહે છે કે, લોકો ફેફસાના સ્વાસ્થ્યને ગંભીરતાથી નથી લેતા. પલ્મોનરી ફંક્શન ટેસ્ટ (PFT) ખૂબ સહેલું, પીડારહિત અને ઝડપી ટેસ્ટ છે. ઘણીવાર દર્દી ત્યારે આવે છે જયારે ફેફસાનું મોટું નુકસાન થઈ ચૂકેલ હોય છે. જો સમયસર પીએફટી કરાવીએ તો COPD ને વહેલી તકે શોધી શકાય અને દવાઓ તથા નિયમિત દેખરેખ દ્વારા તેને ડાયાબિટીસ જેવી બીમારીની જેમ સારી રીતે મેનેજ કરી શકાય.

શિયાળાની મોસમમાં એર પોલ્યુશનનું સ્તર વધી જતું હોવાથી ફેફસાની સમસ્યાઓ વધી જાય છે. ઠંડી હવામાં પ્રદૂષકો જમીન નજીક અટકી રહેતા હોય છે, જેના કારણે ધૂળ, ધુમાડો, ગાડીના ધુમાડા અને નાના રજકણ વધુ પ્રમાણમાં શ્વાસમાં જાય છે. આ પ્રદૂષકો શ્વસન નળીમાં બળતરા પેદા કરે છે અને અસ્થમા, બ્રોંકાઇટિસ તેમજ COPD જેવી સમસ્યાઓને ગંભીર બનાવે છે.

નિયમિત ચેકઅપ અને સાવચેતી રાખવાથી COPD નો પ્રભાવ ઘણી હદે ઓછો કરી શકાય અપોલો હોસ્પિટલ્સના કન્સલ્ટન્ટ ક્લિનિકલ અને ઇન્ટરવેન્શનલ પલ્મોનોલોજિસ્ટ ડૉ. રાહુલ જાલાના જણાવ્યા મુજબ, બહાર માસ્ક પહેરવું, વહેલી સવારની કસરત ટાળવી અને ભારે પ્રદૂષણવાળા સમયમાં બહાર જવાનું ઓછું કરવાથી ફેફસાને મોટો ફાયદો થાય છે. દર વર્ષે ફ્લુ વેક્સિન લેવાં પણ ખૂબ જરૂરી છે, ખાસ કરીને 50 વર્ષથી વધુ ઉંમરવાળાઓ અને હૃદય-શ્વસન સંબંધિત ગંભીર સમસ્યાઓ ધરાવતા દર્દીઓ માટે. નિષ્ણાતો કહે છે કે ફેફસાનું સ્વાસ્થ્ય અવગણવાથી ગંભીર લાંબા ગાળાના પરિણામો થઇ શકે છે. સમયસરનું નિદાન, નિયમિત ચેકઅપ અને સાવચેતી રાખવાથી COPD નો પ્રભાવ ઘણી હદે ઓછો કરી શકાય છે. ડૉક્ટરો લોકોમાં ફેફસાને પ્રાથમિકતા આપવા અનુરોધ કરતાં કહે છે કે, તમારા ફેફસાં માટે કોઈ બેકઅપ નથી વધુ નુકસાન થાય તે પહેલા તેમને સુરક્ષિત કરો.


Related Posts

Load more